27 Dec 2013

હવે એસએમએસને સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે એટલે કે જે પણ લોકો મોબાઇલ એસએમએસ દ્વારા સરકારી વિભાગોમાં કોઇ કોમ્યુનિકેશન કરશે જેમાં વિવિધ સેવાઓ જેવી કે બિલ પેમેન્ટ, રજિસ્ટ્રેશન વગેરે માટે સરકાર તરફથી મળતા કે ગ્રાહકો દ્વારા થતા એસએમએસ હવે સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવશે. કેન્દ્ર સરકારે લોન્ચ કરી મોબાઇલસેવા કેન્દ્ર સરકારે મોબાઇલ ગવર્નેસ પર એક પાઇલટ પ્રોજેક્ટને હાથ ધર્યો છે જે પૂરો થતાં જ સોમવારે કેન્દ્ર સરકારે જાહેર જનતા માટે ૨૪૧ એપ્લિકેશનવાળું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું, આ એપ્લિકેશન્સને માહિતીઅધિકાર (આરટીઆઇ), સ્વાસ્થ્ય, આધાર, શિક્ષણ જેવી સેવાઓની સાથે પણ જોડવામાં આવશે. આ સેવાને શરૂ કરતી વેળાએ ઇલેક્ટ્રોનિક તેમજ આઇટી સેક્રેટરી જે. સત્યનારાયણે જણાવ્યું હતું કે રેલવેની જેમ જ એમએમએસ કે એસએમએસને માન્ય દસ્તાવેજ માનવામાં આવશે. સત્યનારાયણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ડિજિટલ સિગ્નેચરવાળાં પ્રમાણપત્રને લીગલ ડોક્યુમેન્ટ તરીકે સ્વીકાર કરવામાં આવે છે તેના જેવી જ સુવિધા હવે મોબાઇલ પર પણ ઉપલબ્ધ કરવાની જરૂર છે, ભારતમાં હાલ ૯૦ કરોડ મોબાઇલગ્રાહકો છે. ઉલ્લેખનીય છે કે હાલ કેટલીક બેન્કો દ્વારા મોબાઇલસેવા પણ આપવામાં આવે છે, જે અંતર્ગત કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન બેન્ક અકાઉન્ટમાં થાય છે તો એસએમએસ મોબાઇલ પર આવી જાય છે, હવે આ અને આવા કોઇ પણ પ્રકારના એસએમએસ કે જે સરકાર તરફથી કે અન્ય કોઇ પ્રાઇવેટ કંપની તરફથી મળતા હોય તો તે પણ હવે એક સત્તાવાર દસ્તાવેજ જ ગણાશે. ૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે ડાઇટીમાં સયુક્ત સચિવ તરીકે સેવા આપી રહેલા રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે મોબાઇલસેવા કે જે સરકારે લોન્ચ કરી તે હવે મોબાઇલ ફોન માટે ડિજિટલ સિગ્નેચર સાથે તૈયાર છે. સરકાર એવા એસએમએસનો ઉપયોગ કરી શકે છે કે જે ગ્રાહકોને કન્ફરમેશન કે અન્ય કોઇ રીતે સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં મોટાભાગના સરકારી વિભાગોને સાંકળી લેવામાં આવશે.